નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન’ સન્માન, હળવદમાં ભવ્ય સમારોહ યોજાયો
હળવદ: રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ્ સંચાલિત સરસ્વતી શિશુ મંદિર ખાતે કેન્યા સ્થિત સેવાભાવી અને સમાજહિતૈષી નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન’ સન્માન અર્પણ કરવાનો ભવ્ય સમારોહ યોજાયો હતો. સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની પ્રેરણા તથા ગોવિંદભાઈ ધોળકિયાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સંતો, શિક્ષણવિદો, કલાકારો, રાજકીય આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, જાણીતા નાટ્યકાર-દિગ્દર્શક તથા શિક્ષણવિદ્ સાઈરામભાઈ દવે, લવજીભાઈ બાદશાહ, ડૉ. ભાડેશિયા, ધર્મેશભાઈ જોશી, બળવંતભાઈ જાની, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હળવદની વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી બ્રહ્મ સમાજના આગેવાનો પણ સમારોહમાં જોડાયા હતા.
આ પ્રસંગે મહાનુભાવોએ નરેન્દ્ર રાવલના સેવાકીય કાર્યો, સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા વિવિધ ક્ષેત્રોમાં આપેલા યોગદાનને બિરદાવ્યું હતું. નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન’ સન્માન મળતા ઉપસ્થિત આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ આશીર્વચન આપતાં સમાજના પ્રતિભાશાળી અને સેવાભાવી વ્યક્તિઓની કદર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નરેન્દ્ર રાવલના સેવાકીય યોગદાનને બિરદાવી સમાજે આવા સેવાભાવી રત્નોને પ્રોત્સાહન આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સરસ્વતી શિશુ મંદિરની વિદ્યાર્થીનીઓ દ્વારા મહાનુભાવોનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી રમણીકભાઈ રાબડીયા, ગીરીશભાઈ દવે, રાજુભાઈ દવે, વ્યવસ્થાપક ધવલભાઈ ભોજાણી, દીપકભાઈ કણજારીયા સહિત શિશુ મંદિરના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સેવાભાવી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
સંતોના આશીર્વાદ અને મહાનુભાવોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલો ‘બ્રહ્મરત્ન’ સન્માન સમારોહ હળવદના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.


