હળવદની મહર્ષિ ગુરુકુલની બેદરકારી ?: વિદ્યાર્થી ગુમ થયા બાદ હેમખેમ મળી આવતાં રાહતનો શ્વાસ
હળવદમાં મહર્ષિ ગુરુકુલની હોસ્ટેલમાંથી ગત રાત્રીના એક વિદ્યાર્થી લાપતા થયો હોવાની ઘટના સામે આવી છે. જો કે આ વિદ્યાર્થી આજે વહેલી સવારે મળી આવ્યો છે. પરંતુ આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા દીકરા-દીકરીઓની સુરક્ષા ઉપર અનેક સવાલો ઉઠ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર મહર્ષિ ગુરુકુલમાં અભ્યાસ કરતો અને ત્યા જ અભ્યાસ કરતો ધો.11નો વિદ્યાર્થી ગઈકાલે રાત્રીના ક્યાંક ચાલ્યો ગયો હતો. જેને પગલે તેનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.આ વિદ્યાર્થી ગુમ થયાની સોશિયલ મીડિયામાં ફોટો સાથે કોન્ટેક્ટ નંબર પણ વાયરલ થયાં હતાં જોકે આજે વહેલી સવારે આ વિદ્યાર્થી સામખીયારી રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યો છે. વિદ્યાર્થીના મળી આવવાથી તેના પરિવાર અને હોસ્ટેલ પ્રશાસને રાહતનો શ્વાસ જરૂર લીધો છે, પરંતુ આ ઘટનાએ ગુરુકુલની સુરક્ષા વ્યવસ્થાની મોટી પોલ ખોલી નાખી છે.આ ઘટનાથી હોસ્ટેલના મેનેજમેન્ટ અને સુરક્ષા સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. કોઈ વિદ્યાર્થી આટલા મોટા કેમ્પસમાંથી આસાનીથી ભાગી જતો હોય, તો સુરક્ષા કર્મીઓ શું કરી રહ્યા હતા? વાલીઓ પાસેથી આકરી ફી વસૂલવામાં આવે છે, તો પછી વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે આટલી મોટી બેદરકારી કેમ? સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે અહીં દીકરીઓ પણ રહે છે. રાત્રિના સમયે કોઈ વિદ્યાર્થી આટલી સરળતાથી હોસ્ટેલમાંથી બહાર જઈ શકતો હોય, તો બહારથી કોઈ પણ વ્યક્તિ આસાનીથી અંદર પણ આવી શકે છે. આવી કંગાળ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓની સલામતી કેટલી? આ ઘટના બાદ સંસ્થામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ હોસ્ટેલ મેનેજમેન્ટ સામે ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે જોકે ઘટના અંગે એમડી રજનીભાઈ પટેલનો સંપર્ક કરતા બાળક મળી આવ્યો હોવાનો તેમજ હાલમાં વાલી પાસે હોવાનું જણાવ્યું હતું.


