હળવદમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી દરબાર નાકાં ખાતે કરાઈ
હળવદ: દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની હળવદ શહેરમાં ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. હળવદ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક દરબાર નાકા ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન સાથે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે દેશની આઝાદી માટે જીવનનું બલિદાન આપનાર શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રનાયકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પ્રમુખ ફોરમબેન રાવલે જણાવ્યું હતું કે, દેશને મળેલી આઝાદી અનેક વીર સપૂતોના ત્યાગ અને બલિદાનનું પરિણામ છે. દેશની એકતા, અખંડિતતા અને વિકાસને વધુ મજબૂત બનાવવા દરેક નાગરિકે પોતાની ફરજ અને જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જરૂરી છે.
ઐતિહાસિક દરબાર નાકા ખાતે લહેરાતો તિરંગો હળવદ શહેર માટે ગૌરવ, એકતા અને રાષ્ટ્રભક્તિનું પ્રતીક બન્યો હતો.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પદાધિકારીઓ અને સદસ્યો ઉપરાંત હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન રમેશભાઈ, ભાજપ શહેર અધ્યક્ષ યશભાઈ પટેલ, મહામંત્રી સહિત સંગઠનના આગેવાનો, સામાજિક અને વેપારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


